દસ દિવસ સુધી સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની જીવનગાથા રજૂ કરતાં નાટકો ભજવાય છે.
નોરતાં દરમિયાન ગામે ગામ રાસ ગરબા તો થાય જ, પણ કવિ કલાપીની નગરી લાઠીમાં એક અનોખી પરંપરાના ભાગરૂપે પહેલાં નોરતાથી દશેરા સુધી દરરોજ નાટક રજુ કરવામાં આવે છે. આ નાટ્યોત્સવના માધ્યમથી એકત્ર થતી રકમ કષ્ટ ભંજન હનુમાનજી મંદિરમાં આખું વર્ષ પંખીડાઓના ચણ માટે વાપરવામાં આવે છે.
નવરાત્રિના રાસોત્સવોમાં પણ વિકૃતિ પેસી ગઇ છે અને નાટ્ય કલા પણ મરણતોલ હાલતમાં છે ત્યારે લાઠીના મહાકાળી નવરાત્રિ નાટક મંડળ છેલ્લા ૧૪૦ વર્ષથી આ પરંપરાનું જતન કરી રહ્યું છે. ૧૪૦ વર્ષ પૂર્વે સંત વસંતદા બાપુએ આ મંડળની સ્થાપના કરી હતી. ગરબી ચોકમાં તેમનું સમાધિ સ્થળ આજે પણ શ્રધ્ધાળુઓ માટે પૂજનીય સ્થાન ધરાવે છે.
નોરતા દરમિયાન પંખીઓના ચણ માટે સંતો અને શૂરાઓ તથા દાતાઓના જીવન ચરિત્રને તાદ્રશ્ય કરતા નાટકો રજૂ કરવાની પરંપરા તેમણે શરૂ કરાવી હતી અને લાઠીમાં આજે દોઢ સદી બાદ પણ લોકો એ પરંપરાનું જીવની જેમ જતન કરી રહ્યા છે. આ અનોખી પ્રવૃત્તિમાં લાઠીની ચાર-પાંચ પેઢીઓનું યોગદાન રહ્યું છે. મંડળના અગ્રણીઓના જણાવ્યા મુજબ દસ દિવસના દસ અલગ અલગ નાટકો માટે બહુ અગાઉથી તૈયારી કરવી પડે છે. દર વર્ષે નવાં નાટકો રજુ કરવામાં આવે છે.
આ નાટકો દરમિયાન દર્શકો અને દાતાઓ પાસે પંખીનાં ચણ માટે ટહેલ નાખવામાં આવે છે અને દસ દિવસ દરમિયાન જ દાતાઓ તરફથી આખા વર્ષના ચણ માટેની રકમ એકત્ર થઇ જાય છે. વાત માત્ર પંખીના ચણ પુરતી જ નથી, નાટકોના માધ્યમ દ્વારા આપણા ભવ્ય ઐતિહાસિક પાત્રોની જીવન લીલાથી લોકોને પરિચિત કરી શકાય છે અને એ રીતે ઈતિહાસ અને સંસ્કૃતિના જતનમાં તથા સંસ્કાર સિંચનમાં આ નાટ્યોત્સવ નિમિતે બોલબાલા વચ્ચે પણ લાઠીમાં આ નાટ્યોત્સવ અતિ લોકપ્રિય સાબિત થઇ રહ્યો છે અને દરરો મોટી સંખ્યામાં લોકો એનો લહાવો લૂંટે છે.
આ વર્ષનાં નાટકો -
૧લે નોરતે - વીર એભલવાળો અને ૨જે નોરતે - રણુજાના રાજા રામદેવપીર અને ત્રીજે નોરતે સોનબાઇની ચૂંદડી નાટક રજુ થયા હતા. હવે નીચે મુજબ નાટકો ભજવાશે.
૪થું નોરતું- શેલત વિજાણંદ
૫મું નોરતું- વણથરી વાવ
૬ઠ્ઠું નોરતું- અધૂરા મંગળ
૭મું નોરતું- રાજા ભરથરી
૮મું નોરતું- અમર દેવીદાસ
૯મું નોરતું- જય ચિતોડ
દશેરા- ઘર, ઘૂંઘટ ને ઘરચોળું